New Update
શક્તિપીઠ અંબાજીમાં ભક્તિરસ છલકાયો
નવરાત્રી પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપના કરાઈ
અંબાજી મંદિરને કરાયો સુંદર રોશની સહિતનો શણગાર
વહેલી સ્વાર્થી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાગી કતાર
ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન માટે કરવામાં આવી પૂરતી વ્યવસ્થા
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં માતાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના વિધિ કરીને નવરાત્રીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિરના વહીવટદાર કૌશિક મોદી,અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઘટ સ્થાપના વિધિમાં સાત ધાન્યને કાપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપના વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.
શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. નોરતાના પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં લોકો માઁ અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂરદૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભકતોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારૂ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માઁ અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી નિમિત્તે મંદિરને ભવ્ય રંગબેરંગી રોશની સહિતની સજાવટ સાથે શણગાર કરવામાં આવ્યો છે.