-
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનાનો મામલો
-
20થી વધુ લોકોના મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
-
ડીસા સિવિલ પહોચેલા પરિજનો ચોધાર આંસુએ રડ્યા
-
એક જ પરિવારના 11 લોકોના મોતથી માતમ છવાયો
-
જવાબદારોને છોડવામાં નહિ આવે : MP કેબિનેટ મંત્રી
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 20થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે આ મામલે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવતી ગેરકાયદે ફેક્ટરીમાં ગત તા. 1 એપ્રિલ-2025ના રોજ ભીષણ ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે, ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના 20થી વધુ શ્રમિકોના મોત થયા હતા, ત્યારે પરિવાજનો દ્વારા મૃતકોની ઓળખ કર્યા બાદ મૃતદેહોને પોલીસ પાઇલોટિંગ સાથે વતન મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આરોપી ફેક્ટરી માલિક પિતા-પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની LCB પોલીસ દ્વારા ધરપકડ કરી સા-અપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધુમાં આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ડીસાના ઢુંવા રોડ પર જગ્યા લીધી, અને ત્યાં જ પત્નીના નામે રજીસ્ટ્રેશન મેળવી ફર્મ ઉભી કરી હતી, જ્યાં તમામ બેંકિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા હતા. ખૂબચંદે પોતાના ફટાકડાના વ્યવસાયનો દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તાર વધાર્યો હતો. ફટાકડામાં સુતળી બોમ્બ બનાવવામાં મુખ્યત્વે સલ્ફર, ગન પાવડર અને પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. આ ત્રણેય રસાયણો એક સાથે હોય તો જ ધડાકો થાય છે. ડીસાની ઘટનામાં આ ત્રણેય તત્વોનો 4 હજાર કિલો જેટલો જથ્થો મોટી માત્રામાં એકત્ર કરાયો હોય તો જ આટલો મોટો બ્લાસ્ટ થઇ શકે તેવું તજજ્ઞોનું માનવું છે. બનાવના પગલે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ પણ ડીસા ખાતે પહોચ્યા હતા, જ્યાં તેઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી ગુજરાત સરકાર પાસે માંગ કરી હતી.