![લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું ઓપરેશન કમળ ! ખંભાતના MLA ચિરાગ પટેલે આપ્યુ રાજીનામુ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/ee6f453ead067baf5b890585bd791b24da8b46eabe483b44a8d341f12075f863.webp)
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે સેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. હજુ તો 6 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની વિકેટ ખરી પડી હતી. વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું. ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, રાજીનામું આપવા પાછળ ઘણાં બધાં કારણો છે. હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું, જેથી કરીને મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછી મેં નિર્ણય કર્યો છે. કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જ જાણે છે. મારે જનતાનાં કામ કરવાં છે. મને યોગ્ય પ્લેટફોર્મ ન લાગતા મેં નિર્ણય લીધો છે. યોગ્ય સમયે યોગ્ય રાજકીય નિર્ણયો થતા હોય છે. ભાજપમાં જોડાશો તેવા મીડિયાના સવાલમાં જવાબમાં જણાવ્યું હતું કે હું ભાજપનો જ કાર્યકર્તા હતો.