કાળમુખો કોરોના સામે રક્ષણ મેળવવા તથા તેને હરાવવા માટે વેકિસન એકમાત્ર રામબાણ ઈલાજ ગણાઇ રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દરરોજ હજ્જારો લોકો વેકિસન લઇ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ ફ્રી વેક્સિન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં સોમવારથી સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન મૂકવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને તાલુકામાં પણ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જંબુસર નગરમાં એસ.ટી. ડેપો ચર્ચ શોપિંગ સેન્ટરમાં સરકારી તંત્રના સંયુક્ત ઉપક્રમે મુસ્લિમ પટેલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન દ્વારા રસીકરણનું કેમ્પ રાખવામાં આવ્યું હતું.
રસીકરણ માટે મુસ્લિમ વેલ્ફેર મુસ્લિમ પટેલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન તરફથી પ્રાંત અધિકારી એ. કે. કલસરિયા અને મામલતદાર જી. કે. શાહને રજુઆત કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાને સૂચના આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે કેમ્પમાં સંપૂર્ણ વ્યવસ્થા મુસ્લિમ વેલ્ફેર મુસ્લિમ પટેલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા કરાઈ હતી.
આ કેમ્પમાં કુલ 190 લોકોએ વેક્સિન મુકાવી રસીકરણમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી એ. કે. કલસરિયા, મામલતદાર જી. કે. શાહ, પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા, મેડિકલ સ્ટાફ અને મુસ્લિમ વેલ્ફેર મુસ્લિમ પટેલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન સંસ્થાના સભ્યો હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.