ભરૂચ : પરણિતાઓએ કરી વટવૃક્ષની પુજા, પતિના દીર્ધાયુ માટે રાખ્યું વ્રત
જિલ્લાભરમાં વટ સાવિત્રીના વ્રતની કરાઇ ઉજવણી, વડના વૃક્ષની સુતરની આંટી વીંટાળી પ્રાર્થના કરાઇ.
ભરૂચમાં ચોમાસાની જમાવટ વચ્ચે પરણિત મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. વિવિધ સ્થળોએ વડની પુજા કરી પતિના લાબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ભરૂચ શહેર તથા જિલ્લામાં જેઠ મહિનાની પુનમના દિવસે વટ સાવિત્રીના વ્રતની આસ્થાપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં પણ પરણિત મહિલાઓ વડના વૃક્ષની પુજા કરવા માટે પહોંચી હતી. ભારતીય સંસ્કૃતિમાં વટ સાવિત્રીનું વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચુક્યું છે. વ્રતની તિથિને લઈને લોકોમાં ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે અને વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય ભગવાનનો વાસ હોવાની વાયકા છે. આ વૃક્ષના પુજનથી સર્વ મનોકામનાઓ પુર્ણ થાય છે. મહિલાઓએ વડના વૃક્ષની ભકિતભાવથી પુજા- અર્ચના કરી હતી.