ભરૂચ : રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ
રતન તળાવમાં કાચબાઓના થતાં છાસવારે મોત, પાલિકાની તળાવ સફાઇની કામગીરીની પોલ ખુલી.
ભરૂચના રતન તળાવમાં વસતાં શિડ્યુઅલ-1માં આવતા કાચબાઓના મોતની છાસવારે બનતી ઘટના પાલિકાની તળાવના સફાઇની કામગીરીની પોલ ખોલી રહી છે, ત્યારે આજે વધુ એક કાચબાનું તળાવની ગંદકીના કારણે મોત થતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ ફાટી નીકળ્યો છે.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલાં રતન તળાવમાં શિડ્યુઅલ-1માં આવતી દુર્લભ પ્રજાતિના કાચબાઓ વસવાટ કરે છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી આસપાસના વિસ્તારમાં માનવ વસ્તિ વધવા સાથે તે વિસ્તારના ગંદા પાણી તળાવમાં ભળતાં કાચબાઓના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા તળાવની નિયમિત સફાઇ કરવામાં આવતી હોવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે થોડા થોડા દિવસે કાચબાઓના મોતના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. આવો જ એક બનાવ આજે પણ બન્યો છે.
રતન તળાવમાં એક કાચબાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. અવારનવાર કાચબાઓના મોતથી સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઇને ભારે રોષ જોવા મળ્યો રહ્યો છે. હાલ તો સમગ્ર મામલે સ્થાનિકોએ વનવિભાગને કાચબાના મોત અંગેની જાણ કરી છે.