ભરૂચ : નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાય, પાલિકા કચેરીને માથે લેવાની સ્થાનિકોની ચીમકી

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે

New Update
ભરૂચ : નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાય, પાલિકા કચેરીને માથે લેવાની સ્થાનિકોની ચીમકી

ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે, ત્યારે શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરતા માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ શહેરમાં ભાજપનું ગઢ ગણાતા નારાયણનગર સોસાયટીમાં જ મહિનાઓથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઉભરાતી ગટરના મુદ્દે અવારનવાર રજુઆત અને અરજી પણ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ મામલે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સોસાયટીના લોકોને પોતાની અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે.

અત્રે ઉલખનિય છે કે, એક બાજુ સરકાર અને નગરપાલિકા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લાખો રૂપિયા ખર્ચાયા હોવાનો દાવો કરી રહી છે, ત્યારે ભરૂચના વોર્ડ નંબર 3ના નારાયણ નગર-5 માં ભરૂચ નગરપાલિકાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે. મુખ્ય માર્ગોની ઉભરાતી ગટરોની સાથે માર્ગ પર લાગેલી સ્ટ્રીટ લાઈટો પણ ન ચાલતી હોવાથી સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીને માથે લેવાની પણ નારાયણનગર-5ના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

અમરેલી : ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્રની ઉદાસીનતા,શેત્રુજી નદી પરનો સાત દાયકા જૂનો બ્રિજ ખખડધજ બનતા સમારકામની ઉઠી માંગ

1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો..

New Update
  • શેત્રુજી નદી પરના બ્રિજની ખસ્તા હાલત

  • પીપાવાવ અને અંબાજી સ્ટેટ હાઇવે પરનો છે બ્રિજ

  • સાત દાયકા જૂનો  બ્રિજ બન્યો બિસ્માર

  • ચારેતરફ બ્રિજના દેખાય રહ્યા છે સળિયા

  • તાત્કાલિક જોખમી બ્રિજના સમારકામની ઉઠી માંગ 

અમરેલીમાં શેત્રુજી નદી પરનો બ્રિજ 7 સાત દાયકા જૂનો છે,જોકે તંત્ર દ્વારા સમયાંતરે બ્રિજની મરામત કરવામાં ન આવતા વર્તમાન સમયમાં બ્રિજ જોખમી બની ગયો છે,અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે.

વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ ધારાશાહી થવાની ગમખ્વાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં 75 વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઈવે પરનો શેત્રુજી નદી પરનો બ્રિજ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતીતિ સ્થાનિક લોકો કરી રહ્યા છે.વર્ષ 1955માં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતું ત્યારે તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા 8 ઓગસ્ટ 1955માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આજે આ 70 વર્ષમાં વ્હાણા વીતવા આવ્યા ત્યારે આ બ્રિજની હાલત હાલક ડોલક જેવી થઈ ગઈ છે.70 વર્ષ પહેલા આ બ્રિજ નાના વાહનો અને બળદગાડા પસાર થાય તે માટે નિર્માણાધીન કરવામાં આવ્યો હતો,પરંતુ આજે આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે ગણાઈ છે,અને આ પીપાવાવ અંબાજી સ્ટેટ હાઈવે એટલે અમરેલીથી સાવરકુંડલા જવાનો શેત્રુજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે.

ચારેતરફ બ્રિજના સળિયાઓ બહાર ડોકિયા કરે છે અને સળિયા બહાર આવી ગયા છે.જ્યારે બ્રિજની ઘણીખરી રેલીંગ પણ તૂટી ગઈ છે. બ્રિજ પરથી પીપાવાવ પોર્ટના મસમોટા કન્ટેનર ટ્રક પસાર થાય છે,ઓવરલોડ વાહનો પણ પસાર થઈ રહ્યા છે.મુખ્ય સ્ટેટ હાઇવે હોવાથી રોજના હજારો વાહનો આ બ્રિજ પર પસાર થતા હોય ત્યારે અતિ જર્જરિત બની ગયેલા બ્રિજ પર મોટા વાહનો દોડવાથી વાઇબ્રેટિંગ કરતો અને ઝૂલતો બ્રિજ હોવાનો અહેસાસ વાહનચાલકો કરી રહ્યા છે.ત્યારે વાહનચાલકો તાત્કાલિક આ બ્રિજના સમારકામ માટે માંગ કરી રહ્યા છે.