ભરૂચ જિલ્લાના આમોદ-રોધ ગામ વચ્ચે અકસ્માત સર્જાતા આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ-રોધ ગામ વચ્ચે નેશનલ હાઈવે નં. 8 પર વડોદરા તરફથી દહેજ તરફ જતા ભારે વાહનો કરજણથી આમોદ થઈ દહેજ જતા હોય છે. કરજણ-આમોદ વચ્ચે રોડની સાઈડ પર આવેલા વૃક્ષોની ડાળીઓ રોડ પર આવી ગઈ હોવાથી કેટલાક ચાલકો રાત્રિ દરમિયાન ફુલ લાઈટો ચાલુ રાખી વાહનો ચલાવતા હોય છે. જેથી સામેથી આવતી ફોરવ્હીલ તથા ટુ-વ્હીલર હંકારનાર ચાલકોને આંખોમાં વધુ પ્રકાશ આવી જતાં મુશ્કેલીમાં મુકાવવા સાથે અકસ્માતોના બનાવો પણ બને છે. તેવામાં ગત રાત્રિ દરમ્યાન આમોદ તાલુકાના આઝમનગર ગામના 2 યુવાનો પોતાની મોટરસાયકલ લઈને આમોદથી આઝમનગર પોતાના ઘરે પરત ફરતા હતા.
આ દરમ્યાન આમોદથી રોધ ગામ વચ્ચે હનુમાનજી ડેરી નજીક પહોંચતા રોડ ઉપર એક ટ્રક ચાલકે આવતા-જતાં વાહનોને અડચણ થાય તેમ બંધ હાલતમાં કોઈપણ જાતની લાઈટો ચાલુ રાખ્યા વિના ટ્રક થોભાવી હતી. જેથી મોટરસાયકલ ટ્રક સાથે અથડાઈ જતા ગંભીર ઈજાના પગલે આઝમનગર ગામના બન્ને યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બન્ને મુતૃકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.