છેલ્લા 4 મહિનાથી ચાલતી કામગીરી બંધ થઈ
લોકોમાં ધીમી કામગીરીને લઈને ફેલાયો છે રોષ
કમોસમી માવઠાને લઈ ડાઈવર્ઝન માર્ગ બિસ્માર
નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ ઉઠી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નાળાનું કામ છેલ્લા 4 મહિનાથી ખોરંભે ચઢતા સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દીવી અને નવા દીવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક-વ્યુ પાર્ક નજીક વર્ષો જૂનું નાળું આવેલું છે. જે બિસ્માર નાળાના નવીનીકરણની કામગીરી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઈજારો આપી શરૂ કરાવવામાં આવી હતી. જોકે, 4-4 મહિના થઈ ગયા હોવા છતાં ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઇ સ્થાનિકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ આવેલ કમોસમી વરસાદને લઇ માર્ગની બાજુમાં આપેલ ડાઈવર્ઝનનું પણ ધોવાણ થતાં ત્યાંથી વાહનો પસાર કરવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી અટકેલ કામગીરી શરૂ કરાવવા માટે લોકો રસ્તે ઉતરી આવ્યા હતા. આ અંગે નવી દીવી ગામના રહેવાસીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાથી અટકી ગયેલી કામગીરી અને ડાઈવર્ઝન માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો છે. અહી 2 ગામ તેમજ વિવિધ સોસાયટીના રહીશોને આવાગમન કરવામાં ભારે અગવડતા ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસું બેસવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે આ અધૂરી કામગીરીને તાકીદે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.