-
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અમદાવાદ - અંકલેશ્વરમાં દરોડાનો મામલો
-
જીપીસીબી દ્વારા પણ ઉદ્યોગોમાં શરૂ કરાઇ તપાસ
-
અંકલેશ્વર પાનોલીમાં જીપીસીબીની તપાસ
-
જવાબદાર ઉદ્યોગોમાંથી મટિરિયલના લીધા નમૂના
-
ઉદ્યોગો સામે જીપીસીબી કરી શકે છે ક્લોઝરની કાર્યવાહી
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.આ ઘટના બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ વિભાગ દ્વારા પણ જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડા પડ્યા હતા. બલ્ક ડ્રગનું કેમિકલ ફેક્ટરીમાં ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓમાં દરોડા પાડતા કૌભાંડ બહાર આવ્યું હતું. અને બલ્ક ડ્રગનો અંદાજે 1000 કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદની એસ્ટીમ એન્ટરપ્રાઈઝ અને તેની સાથે સંકળાયેલી અંકલેશ્વરની અન્ય કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડીંગ કરતી એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રેગાબેલીન નામના અંદાજીત રૂપિયા 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગનો 1000 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરાયો છે.
આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, તંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી એસ્ટીમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદને ત્યાં દરોડો પાડતા અંદાજીત રૂપિયા 85 લાખની કિંમતનું 4300 કિ.ગ્રા. પ્રેગાબેલીનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે એક્ષીસ ફાર્માકેમ કે જેના માલિક પ્રવીણ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશ તથા અન્યની સંડોવણીથી આઇકોનીક ફાર્માકેમ, પાનોલી દ્વારા તેઓની કેમીકલ ફેકટરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રેગાબેલીન દવા બનાવતા ઝડપી લીધા હતા.
આ સમગ્ર દવાનાં કૌભાંડમાં એસ્ટીમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ અને ભરૂચના માલિક નિમેષ શાહ અને પ્રોડક્શન એક્ઝ્યુકેટીવ હરીશ અશ્વિનભાઇ જોષી, એક્ષીસ ફાર્માકેમ, અંકલેશ્વર, ભરૂચના માલિક પ્રવિણ પટેલ, આઈકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચના માલિક ભાવેશ ઘનશ્યામભાઈ ચલોડીયા અને બાયોક્રોમ એનાલીટીકલ લેબ, અંકલેશ્વરના માલિક લલીત ફુલાભાઇ રૈયાણી સામેલ છે.
આ સમગ્ર ઘટના બાદ અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા પણ અંકલેશ્વર અને પાનોલી ખાતેના જવાબદાર ઉદ્યોગોમાં જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી,અને મટિરિયલના જરૂરી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર મામલે જીપીસીબી દ્વારા ઉદ્યોગોને ક્લોઝર ફટકારવા સુધીની તજવીજ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જીપીસીબીની તપાસ દરમિયાન ઉદ્યોગની ઓળખ અંગેની માહિતી પુરી પાડતું સમ ખાવા પૂરતું બોર્ડ પણ નહોતું.ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર હવે આગળ ઘટનામાં શું કાર્યવાહી કરે છે.