/connect-gujarat/media/media_files/2025/04/12/bHehOhS9BBKC81aCokxS.png)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ સ્થિત શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં લાગેલા દક્ષિણ ગુજરાત વીજ નિગમના વીજ મીટરમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ સવારના સમયે DGVCL દ્વારા સ્થાપિત મીટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી કે, સ્માર્ટ મીટરો સાથે જોડાયેલ ઇલેક્ટ્રિક વાયર બિનકાળજીભર્યા રીતે લગાડવામાં આવ્યા છે.
આ વાયરો ગમે તેમ લટકી રહ્યાં હતાં, અને વિવિધ જગ્યાએ શોર્ટ સર્કિટ થતું પણ નજરે પડ્યું હતું. .રહીશો દ્વારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. છતાં પણ યોગ્ય ધ્યાન નહીં અપાયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. હાલની કાળજાળ ગરમી અને બાળકોની પરીક્ષાઓ વચ્ચે વિજ પુરવઠો બંધ થવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
સ્થાનિકોએ DGVCL પાસે તાત્કાલિક પગલાં લેવાની તેમજ મીટર બદલવાની માંગ ઉઠાવી છે. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ બિલ્ડીંગમાં રહેતા રહીશોએ વીજ પુરવઠો ખોરવાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.