અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ

  • નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉનમાં આગ

  • સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી

  • વિકરાળ આગના પગલે અફરાતફરીનો માહોલ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી.ફાયર ફાયટરો ભારે જહેમત બાદ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો.અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 
જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ત્રણ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.જો કે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાય હતી જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી.
નોટીફાઇડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો. આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાયટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી.
આ તરફ જે ગાડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એન.ઓ.સી.કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવશે
Read the Next Article

ભરૂચ: વાગરાના સારણ ગામે નિંદ્રા માણી રહેલ પરિવારના મકાન તસ્કરો ત્રાટકયા, સોનાના દાગીના સહિત રૂ.45 લાખના માલમત્તાની ચોરી

તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

New Update
  • ભરૂચના વાગરાના સારણ ગામનો બનાવ

  • તસ્કરોએ મચાવ્યો તરખાટ

  • મકાનમાંથી રૂ.45 લાખના માલમત્તાની ચોરી

  • 30 તોલા દાગીનાની ચોરી

  • વાગરા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવી અંદરથી 30થી 35 તોલા સોનું તેમજ રોકડા રૂપિયા 10 લાખ સહિત 45 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.સારણ ગામમાં રહેતા ઝુલ્ફીકાર રાજ રાત્રે પરિવારજનો સાથે નિંદ્રા માણી રહ્યા હતા આ દરમ્યાન  તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા.તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંઘી આગળની તપાસ હાથ ધરી છે.