-
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ
-
સિંધવ મીઠાના વેપારીઓને હાલાકી
-
સિંધ પ્રદેશથી આવતા મીઠાનો પુરવઠો ઘટ્યો
-
મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં થયો વધારો
-
સિંધવ મીઠું આરોગ્ય માટે છે ગુણકારી
અંકલેશ્વરમાં પંજાબ અને રાજસ્થાનથી સિંધવ મીઠાનો વેપાર કરતા વેપારીઓની હાલત હાલમાં કફોડી બની છે.ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિએ તેઓના વેપારને પણ અસર પહોંચાડી છે.સિંધ પ્રદેશથી આવતા કાળા અને આછા પીળાશ પડતા સિંધવ મીઠાનો પુરવઠો ઘટતા ભાવમાં વધારો થયો છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી,અને પાકિસ્તાનમાં આસરો લેનાર આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરવાની સાથે 100 આતંકીઓને ઉડાવી દીધા હતા.ત્યાર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું,જોકે આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અન્ય રાજ્યમાંથી અંકલેશ્વરમાં વેપાર કરવા માટે આવતા વેપારીઓ હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.અને રાજસ્થાન અને પંજાબથી કેટલાક વેપારીઓ ટેમ્પામાં સિંધ પ્રદેશનું કાળું અને આછા પીળાશ પડતા સિંધવ મીઠું વેચવા માટે પડાવ નાખ્યો છે.જોકે ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિએ સિંધવ મીઠાના પુરવઠા પર અસર પહોંચાડી છે.જેના કારણે વેપારીઓ પાસે સિંધવ મીઠાનો પુરવઠો ઘટવાની સાથે તેના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
જોકે હવે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો અમલ થતા આવનાર સમયમાં સિંધવ મીઠાનો પુરવઠો મળતાની સાથે જ ભાવ નિયંત્રણમાં આવશે તેવી આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે.