સરકારનું ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન
ગડખોલ ગામ ખાતે અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
અરજદારોને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી અપાયો
આધારકાર્ડ અને રાશનકાર્ડ સહિતની યોજનાનો સમાવેશ
મામલતદાર, સરપંચ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારોને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો.
ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સિદ્ધેશ્વરી માતા મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરજદારોને સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર દ્વારા સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત 10થી વધુ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના અને જનધન એકાઉન્ટ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવ્યો હતો. વધુમાં નવા અરજદારોની અરજીઓ પણ સ્વીકારવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ગડખોલ ગામના સરપંચ તેમજ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.