-
ત્રણ રસ્તા સર્કલ પાસે શાકમાર્કેટમાં દબાણનો મામલો
-
નગરપાલિકા દ્વારા વેપારીઓ પર બોલાવી તવાઈ
-
જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા
-
શાકભાજીના વેપારીઓમાં પાલિકાની કામગીરીથી નારાજગી
-
મહિલા વેપારીઓએ પાલિકામાં કરી ઉગ્ર રજુઆત
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાને અડચણરૂપ શાકભાજીના વેપારીઓના દબાણો હટાવવામાં આવ્યા હતા,જેના કારણે મહિલા વેપારીઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરના હાર્દ સમાન ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તાને અડીને વર્ષોથી શાકભાજી માર્કેટે જમાવટ કરી છે.જ્યારે ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજી વેપારીઓના દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવે છે,જોકે આ દબાણો થોડા સમયમાં જ પુનઃ સ્થાપિત પણ થઇ જાય છે. ત્યારે નગરપાલિકાનું તંત્ર ફરી એક વખત જાગ્યું હતું,અને ત્રણ રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તા નજીક શાકભાજી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી.અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.અને વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા.અને પાલિકાતંત્ર દ્વારા શાકભાજીના વેપાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે માત્ર શાકભાજીના વેપારીઓ જ નહીં પરંતુ શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ રસ્તા પર સર્જાતા ટ્રાફિક માટે જવાબદાર છે.કારણે કે ગ્રાહકો પણ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેવાના કારણે પણ ટ્રાફિક સર્જાતો હોવાનું લોક મોઢે ચર્ચાઇ રહ્યું છે.