/connect-gujarat/media/media_files/2025/08/22/women-suicide-2025-08-22-17-21-02.jpg)
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના અંદાડા ગામની રહેવાસી પરિણીતાએ મોતને વ્હાલું કરવા છલાંગ લગાવી હતી. જોકે, સામાજિક કાર્યકર સહિત સ્થાનિક નાવિકોએ મહિલાને બચાવી તેના પરિવારને સોંપી હતી.
ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભરૂચ શહેરના ગુરુદ્વારા કિનારા નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી એક પરિણીતાએ મોતને વ્હાલું કરવા નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના એક રાહદારીની નજરે ચઢતાં તેણે તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી.
ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થાનિક નાવિકોનો સંપર્ક કરી મહિલા સુધી પહોંચી તેણીને બચાવી કિનારે લાવવામાં આવી હતી. જાણવા મળ્યાં મુજબ આ મહિલા અંકલેશ્વરના અંદાડા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ મહિલા પાસેથી તેના પતિનો મોબાઈલ નંબર મેળવી તેનો સંપર્ક સાધ્યો હતો, જ્યાં બનાવની જાણ થતાં જ મહિલાના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તેણીને ઘરે લઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતના વારંવાર બનાવો બને છે, ત્યારે તંત્ર દ્વારા બ્રિજની બન્ને તરફ સેફટી જાળી લગાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમ છતાં જાળી લગાડવાનું કામ પ્રગતિમાં રહ્યું નથી, ત્યારે વહેલી તકે સેફટી જાળી લગાડવાનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.