ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી. જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે, સદનસીબે કોઈ મોટી દુઘટર્ના સર્જાઈ ન હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડીયા GIDC સ્થિત થર્મેક્ષ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા. જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી, અને હોટલની રેલીંગ પણ તૂટી પડી હતી.
જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા, ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાય રહ્યો હતો, ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કે, કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. ઓદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે, તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતીનિધીઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.