/connect-gujarat/media/media_files/2025/02/18/F9XUoXqEcVuIQwRWW7qP.jpg)
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાયબર ક્રાઈમ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આજના યુગમાં વધી રહેલા સાયબર ક્રાઈમના જોખમોને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમ જાગૃતતા અભિયાન અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગત તા. 15 ફેબ્રુઆરી-2025ના રોજ સાયબર ક્રાઈમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ વિભાગના મલકેશ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.બારડ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જેમાં સાયબર ક્રાઈમના પ્રકારો, ઓનલાઇન ફ્રોડ, ડેટા હેકિંગ, ફિશિંગ અને સોશિયલ મીડિયા સહિતના સાયબર ગુનાઓ સામે સુરક્ષા ઉપાય તરીકે મજબૂત પાસવર્ડ, સાયબર હાઈજીન અને સાવચેતીપૂર્વક ઇન્ટરનેટનો ઉપયોગ કરવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર સલામતી અંગે જાગૃતિ લાવવા અને સંભવિત જોખમોથી બચવા માટે સચેત રહેવા તેમજ પ્રેરણા આપવામાં આવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.