ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ, ઝઘડિયા ભાજપા અગ્રણી, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયત, રાજપારડી સરપંચ, ઝઘડિયા પ્રાન્ત અધિકારી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વકતવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તેજ આદિવાસી દિવસની સાચી ઉજવણી, એમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓ લઇ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. જેમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી હોવાનું જણાવાયું હતું. આજે આદિવાસી વિધ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને રાજ્યમાં હજારો આદિવાસી પરિવારોને જમીનના હક મળ્યા છે. આ પ્રસંગે પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો, રમતવીરો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે સાબરકાંઠા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ સહુએ નિહાળ્યું હતું.