New Update
ભરૂચમાં ધુળેટીના પર્વની ઉજવણી
જંબુસરમાં વર્ષોની પરંપરા
ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી કાઢવામાં આવે છે સ્મશાનયાત્રા
ઇલ્લાજી હોળીકાનો પ્રેમી હોવાનો મત
હોળીકાનું દહન થતા રાખમાં ઇલ્લાજી આળોટે છે
ભરૂચના જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે.
ભરૂચના જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી વિસ્તારમાં પરંપરાગત રીતે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે.ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.