-
માઁ રેવાનાં સુકાતા નિર્મળ જળ
-
નર્મદા નદીમાં ઘટી રહ્યો છે પાણીનો પ્રવાહ
-
નદીમાં ઉપસી આવી બેટ સમાન જમીન
-
ઉનાળાની ગરમીની અસર કે અન્ય કોઈ કારણ!
-
ડેમમાંથી માર્યાદિત પાણીની આવકથી ઘટ્યા જળસ્તર
ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નદી પરના બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.
ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે,અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે.
નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીં, પણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાનાં પ્રતીક સમાન છે. એવી માન્યતા છે કે માઁ નર્મદાનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે, પરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે,અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઉભું થઈ શકે છે.
નદી બચાવો, જીવન બચાવો જેવા સૂત્રો હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી ગયા છે. ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા,અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઇ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.