અંધજનો અને દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા
રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું
પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી દ્વારા કરાવાશે કથાનું રસપાન
ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા આમંત્રણ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા સંસ્થાના સભ્યોએ આમંત્રણ પાઠવ્યું છે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા છે. આ સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમ્યાન રમત-ગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુર્નવસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. એટલું જ નહીં, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી આ સંસ્થા પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઇ આગળ ધપી રહી છે. આવી જ કડીરૂપે આ સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ અંધજન મંડળ કાર્યાલય ખાતે તા. 18થી 24 ડિસેમ્બર-2025’ દરમ્યાન દરરોજ બપોરે 3થી 6 કલાક સુધી કથા યોજાશે. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત (શ્રીમદ્ ભાગવત) પર PHD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે, ત્યારે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, માનદ મંત્રી પ્રદિપ પટેલ, ફંડરેઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા દ્વારા ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.