ભરૂચ શહેરના કણબીવગા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ-ભરૂચ અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ચક્રધર સ્વામીની 804મી જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ચક્રધર સ્વામીનો જન્મ માતા માલનદેવી અને પિતા વિશાલ દેવને ત્યાં વિ.સં. 1142 ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષના રોજ 12મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતના ભરૂચમાં આવેલ હરિપાલ દેવ રાજવાડો-ભૃગુકચ્છમાં થયો હતો. શ્રી ચક્રધર સ્વામીએ મહારાષ્ટ્રના અમરાવતીને પોતાનું કર્મક્ષેત્ર બનાવી "મહાનુભાવ પંથ"ની સ્થાપના કરી, જે "શ્રી કૃષ્ણ પંથી" તરીકે પણ ઓળખાય છે. તેઓ શ્રીકૃષ્ણના ઉપાસક રહ્યા છે. ચક્રધર સ્વામીએ સમાજમાં ચાલતી કુપ્રથા, અંધવિશ્વાસ અને જાતિવાદ જેવા પ્રશ્નો પર અવિરત કામ કર્યું હતું, અને સમાજને એક સૂત્રમાં બાંધી સામાજિક અને આધ્યાત્મિક દિશા આપી હતી. તેઓની 804મી જન્મજયંતિ નિમિતે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ-ભરૂચ અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા આરતી તેમજ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રના શિક્ષણ વિદ ડો. કિરણ વાઘમારેએ મનનીય વક્તવ્ય આપી તેઓના સમાજ સુધારણાના કાર્ય સહિતનું સુંદર વર્ણન કર્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ કેવલ જ્ઞાનપીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય અવિચલદેવાચાર્ય મહારાજ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ મહંત રાજેન્દ્રાનંદગિરિજી મહારાજ સહિતના સંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.