આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. તો બીજી તરફ, ભરૂચ GIDC વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન બાદ ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથેની નગરચર્યાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ-દમણ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તો બીજી તરફ, ભરૂચમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ GIDC વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા, ત્યારે “હરે રામા, હરે ક્રિષ્ના”ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથી પ્રસ્થાન થઈ કસક સર્કલ, મક્તપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ વિસ્તાર થઈ પરત ઇસ્કોન મંદિર ખાતે પહોચી હતી.