ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
નારાયણ એવન્યુ સોસા.ના રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું
ભોલાવ પંચાયતના સત્તાધીશોનો વિરોધ
સત્તાધીશો મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ
ગટર લાઇનની કામગીરી બંધ કરાવવાની માંગ
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં સ્થાનિકોના આક્ષેપ અનુસાર, ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગત તા. 13 માર્ચ 2024ના રોજ સમૃદ્ધિ બંગલોઝના પાછળના ગેટથી નારાયણ એવન્યુ સોસાયટીની માલિકીના રોડમાંથી ગટર પસાર કરી સુરભી એવેન્યુ ફ્લેટ પાસેની મુખ્ય ગટરમાં જોડાણ આપવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોએ તંત્રમાં રજૂઆત કરી હોવા છતા ભોલાવ ગ્રામ પંચાયતના સત્તાધીશો ડે.સરપંચ યુવરાજસિંહ પરમાર તથા સરપંચના પતિ જીતુ પરમારે સત્તાનો દુરુપયોગ કરી ગટર લાઇનનું કામ શરૂ કરાવ્યુ હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સેલિબ્રેશન એપાર્ટમેન્ટ તથા સમૃદ્ધિ એપાર્ટમેન્ટ બન્ને ધર્મનગર વિસ્તારમાં આવતા હોવાથી ધર્મનગરની ગટર લાઇનમાં જોડાણ આપી શકાય તેમ છે. છતાં ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા નારાયણ એવન્યુ સોસાયટીના રહીશોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોસાયટીની માલિકીના રોડમાંથી જ ગટર લાઇન પસાર કરવામાં આવતી હોવાથી સ્થાનિકોએ આ કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.