/connect-gujarat/media/media_files/2025/11/08/stray-animals-2025-11-08-15-34-34.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક ખૂબ વધ્યો છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિક રહીશોના જીવ સામે પણ જોખમ ઊભું થયું છે. તો બીજી તરફ, આમોદ નગરપાલીકાના કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલા બાદ પાલિકાએ જાણે હાથ પર હાથ ધરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
રખડતાં પશુઓને પાંજરે પુરવાની કાર્યવાહી મૌખિક જ રહી ગઈ છે, જ્યારે કાગળ પરની કામગીરીથી નગરના રસ્તાઓ પરની વાસ્તવિકતા જરા પણ બદલાઈ નથી. તાજેતરમાં જ આમોદના દરબાર હોલ નજીક 15 વર્ષના બાળક પર રખડતા પશુએ દોડી જઈ હુમલો કરતાં બાળકનો જીવ બચ્યો એ સદભાગ્ય ગણાય. તો બીજી તરફ, બજારથી ઘરે આવતા એક વૃદ્ધ મહિલાને પશુઓએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં વૃદ્ધા ચાલવામાં અસમર્થ બની ગયા છે.
આમોદના મુખ્ય બજારમાં કેટલાક રખડતા પશુઓથી ટ્રાફિકજામ સર્જાય છે, અને લોકો આ પશુઓ નજીકથી ડરી ડરીને પસાર થવા મજબૂર બન્યા છે. દરરોજ કોઈને કોઈ ઈજાગ્રસ્ત બનતા નાગરિકો હવે હોસ્પિટલોમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે આમોદ નગરપાલિકા આ મામલે જવાબદાર પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી આમોદના નાગરિકોની માંગ છે.