જંબુસર નગરના ગણેશચોક વિસ્તારમાં આયોજન
ગણપતિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
શોભાયાત્રા સહિત પૂજન અને અર્ચન કરવામાં આવ્યું
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં જંબુસરના નગરજનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના નુતન ગણપતિ અને આશાપુરી માતા મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ગણેશચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક ગણપતિ, આશાપુરી માતા મંદિરનો ટ્રસ્ટીઓ દ્વારા જીર્ણોદ્ધાર કરી નુતન મંદિર બનાવવાનું સપનું સેવાભાવી દાતાઓ દ્વારા સાકાર થયું છે, ત્યારે નવનિર્મિત ગણપતિ મંદિર અને તેના સંકુલમાં બિરાજમાન આશાપુરી માતા, હનુમાનજી દાદા, જલારામ બાપા અને શિવાલયના દેવી-દેવતાઓના ત્રિ-દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત તા. 15-10-2024 મંગળવારના રોજ દેહશુદ્ધિ તથા કુટીર હોમ થકી પ્રારંભ કરાયો હતો. બપોર બાદ શોભાયાત્રા પ્રારંભે બીએપીએસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીએ પધારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂંજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે ઉપલી વાટ, કોટ બારણા, મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર થઈ પરત ગણેશ ચોક મંદિર ખાતે આવી પહોંચી હતી. આ શોભાયાત્રામાં બંટી ફળિયા હનુમાન ચાલીસા સત્સંગ મંડળ દ્વારા ભજનોની રમઝટ બોલાવતા મહિલાઓ ભક્તિરસમાં ઝુમી ઉઠી હતી. દેવી-દેવતાઓને પુષ્પથી વધાવી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિષા શાહ, નગરપાલિકા સદસ્યો, જંબુસર નગર અગ્રણીઓ મનન પટેલ, જીગર પટેલ, શૈલેષ પટેલ, જીતુ મકવાણા,મહેન્દ્ર સોની સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.