/connect-gujarat/media/media_files/2025/11/09/acndssa-2025-11-09-12-08-44.png)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે ગત તા. ૦૪/૧૧/૨૦૨૫’ના રોજ હત્યાના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મૃતદેહને તળાવમાંથી શોધી કાઢીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી, જે ઓછણ ગામે રોડ ઉપર મુકેલ ડ્રિલિંગ મશીનની જગ્યા પર કામ કરતો હતો. જે ગત તા. ૦૪/૧૧/૨૦૨’ના રોજ ક્યાંક ગુમ થઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા, તેના કોન્ટ્રાકટરે વાગરા પોલીસને આ અંગે જાણ કરી હતી. ગુમ થવાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ફુલતરીયાનાઓ ત્વરિત એક્શન મોડમાં આવી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, ગુમ થનાર ઇસમ સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સૂરજ શાહલાલ મર્સકોકેને શિવરામ સુધુ સાથે રાત્રીના સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની રીસ રાખીને સૂરજ શાહલાલે શિવરામ સુધુનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું, અને તેના મૃતદેહને ઓછણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તળાવમાં નાંખી દોધો હતો.
માહિતી મળતા જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુધુનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી શરૂ કરી અને કોન્ટ્રાકટરની ફરિયાદના આધારે વાગરા પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપીને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી સૂરજ શાહલાલ મર્સકોકેએ હત્યાની કબૂલાત આપી હતી. તેણે જણાવ્યું હતું કે, મૃતક શિવરામ સુધુ તેને અવારનવાર પરેશાન કરતો હતો, અને ઝઘડો કરતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું, ત્યારે હાલ તો વાગરા પોલીસે ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.