-
કોરોના સમયે બંધ થઈ હતી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન
-
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેન પુનઃ શરૂ કરાય
-
PM મોદીએ દાહોદ ખાતેથી ટ્રેનને વર્ચ્યુઅલ પ્રસ્થાન કરાવી
-
ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોએ ટ્રેનને ફૂલહાર કર્યા
-
ઇન્ટરસિટી ટ્રેન શરૂ થતાં રેલ મુસાફરોમાં ખુશીનો માહોલ
કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજરોજ પુનઃ શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોના હસ્તે ટ્રેનને ફૂલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનને પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનને તા. 26મેં-2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતેથી વર્ચ્યુઅલ તેમજ વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વલસાડ-ડાંગ લોકસભા સાંસદ ધવલ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ટ્રેન વલસાડથી નીકળી સુરત થઈ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ ટ્રેનને તેમજ ટ્રેનના લોકો પાયલોટને ફૂલહાર કરી લીલી ઝંડી સાથે આગળની મુસાફરી માટે પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ડીવીઝનલ રેલવે યૂઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય ડો. જે.જે.રાજપુત, ભરૂચ રેલવે સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ રેલવે અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 25 મેં-2025ના રોજ સવારે 08:00 કલાકથી તમામ રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનના બુકિંગ માટે સેવાઓ શરૂ થશે. આ ટ્રેનના મહત્વના સ્ટોપેજની વાત કરીએ તો... બિલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ-કરજણ, સાંમલયા, દેરોલ, ગોધરા, પીપળોદ અને લીમખેડા છે. જોકે, વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનની તા. 27મેં-2025થી દૈનિક સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે, ત્યારે હવે આ ટ્રેન દરરોજ દોડશે, અને મુસાફરોને વધુ સુવિધાજનક કનેક્ટિવિટી મળશે. જેના કારણે રેલ મુસાફરોમાં ખુશીનો માહોલ છવાયો છે.