ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
જાહેર માર્ગો પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓના કારણે ટ્રાફિકજામની સમસ્યાની સાથે અકસ્માતની ભીતિ સેવાય રહી છે, ત્યારે નગરપાલિકા વહેલી તકે ઢોર પકડ અભિયાન હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
એક તરફ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ, રસ્તા પર રખડતા ઢોરથી પણ લોકો ત્રસ્ત થયા છે. હાલ સ્થિતિ એવી છે કે, જાહેર માર્ગો પર ઢોર બેઠેલા જોવા મળે છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે, તેમજ રસ્તા પરથી પસાર થતા હોય , ત્યારે અચાનક ઢોર આવી જાય તેવામાં વાહનચાલક મુશ્કેલીમાં મુકાય છે. મહત્વનું છે કે, જાહેર માર્ગો ઉપર અડિંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ સાથે જ અકસ્માતની ભીતિ સેવાય રહી છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ, શાક માર્કેટ સહીતના કેટલાક જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર જોવા મળે છે, ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકા વહેલી તકે ઢોર પકડ અભિયાન શરૂ કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.