ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સેલારવાડ ખાતે આવી પહોચેલી રથયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના અનોખા દર્શન થયા હતા.
આજરોજ અષાઢી બીજ નિમિત્તે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અંકલેશ્વર શહેરના ભરુચી નાકા વિસ્તારમાં આવેલ હરિદર્શન ટાઉનશિપ સ્થિત ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે અને હર્ષોલ્લાશ સાથે નીકળેલી રથયાત્રા શહેરના મુખ્યમાર્ગથી પરથી પસાર થઇ હતી, ત્યારે આ રથયાત્રા સેલારવાડ ખાતે આવી પહોચતા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સાથે જ મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમ્યાન અંકલેશ્વર શહેરમાં કોમી એકતાના અનોખા દર્શન થયા હતા. મુસ્લિમ સમાજના આગેવાન વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે, શહેર અને દેશમાં કોમી એખલાશનો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે હળીમળીને ઉજવણી કરે, તેમજ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી ગ્યાસુદ્દીન સૈયદ બાવા સાહેબ, નજમુદ્દીન શેખ, રિટાયર્ડ પીઆઇ મોહમ્મદ અલી શેખ, અસ્પાક બાગવાલા, ઈમ્તિયાઝ ઘોણીયા, મુસ્તાક ચીકીવાલા, સબ્બીર ગેરેજવાળા, સાદિક શેખ, જુબેર મેમણ તથા મોટી સંખ્યામાં સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.