New Update
-
અંકલેશ્વર હંસોટમાં કમોસમી વરસાદનો કહેર
-
રસ્તા પર સુકવેલો ડાંગરનો પાક પલળી ગયો
-
અગાઉ ખેતરમાંથી રસ્તા પર સુકવાયો હતો પાક
-
ડાંગરના વેચાણ ભાવમાં ભારે ઘટાડો
-
ખેડૂતો કફોડી પરિસ્થિતિમાં
અંકલેશ્વર પંથકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અગાઉ મીની વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ તેમનું ડાંગર જાહેર રસ્તા ઉપર સુકવ્યું હતું ત્યારે આજે ફરીવાર વરસેલ વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે બેવડી આફત જોવા મળી રહી છે
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ હતું.ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢયો હતો અને રોડ પર સૂકવ્યો હતો. હાંસોટના કુડાદરા,પરવત અને અંકલેશ્વરના સિસોદ્રા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં મુખ્યમાર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સુકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુક્શાન થયું છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગર નો પ્રતિ રૂ.500 હતો પરંતુ સતત બે વાર વરસાદ વરસતા હવે તેમાં 100 રૂપિયાનો ઘટાડો થઈને રૂ.400ની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું. આ વર્ષે પણ ભરઉનાળે 2-2 વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે.