ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થયું ગયું હતું, શહેર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણીએ જમાવટ કરી હતી. તો બીજી તરફ, અંકલેશ્વરમાં પણ વરસાદી પાણીએ સ્થાનિકોના હાલ બેહાલ કરી નાખ્યા હતા.
ભરૂચમાં રાત્રી દરમિયાનથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે શહેર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ઝાડેશ્વરના તુલસીધામ, જ્યોતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, અને સોસાયટી સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી., જ્યારે ઇન્દિરાનગરમાં મકાનોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકો ઘરવખરી સાથે સુરક્ષિત સ્થળ પર ખસી ગયા હતા. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ સમાન કસકના ગરનાળામાં પણ વરસાદી પાણીએ જમાવટ કરી હતી, અને કસક સર્કલ પર ગોઠણસમા પાણી ભરવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ભરૂચ નગરપાલિકાનું કંપાઉન્ડમાં પણ વરસાદી પાણીએ જમાવટ કરી હતી, અને પાલિકાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા પાલિકા પ્રમુખની ગાડી પણ પાણીમાં ગરકાવ હતી, લોકમુખે પ્રશ્નો ઉઠ્યા હતા કે, ખુદ પાલિકા અને પાલિકા પ્રમુખ વરસાદી પાણીથી બચી શક્યા નથી, તો સામાન્ય પ્રજાની સુરક્ષાનું શું..? વધુમાં ભરૂચ શહેરમાં ભારે વરસાદના કારણે રતન તળાવમાં પાણીનું સ્તર વધવાના કારણે તળાવ ઉભરાયું હતું, અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ફાટા તળાવથી ચાર રસ્તા અને મોટી બજાર જતો રસ્તો બંધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં ભારે વરસાદના કારણે કલેક્ટર કચેરી નજીકના નાળામાં પાણીથી છલોછલ થઇ ગયા હતા. નાણામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
તો બીજી તરફ, અંકલેશ્વર શહેરમાં પણ વરસાદે જમાવટ કરી હતી, અને શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ, એશિયાડ નગર વિસ્તાર, ગાયત્રી મંદિર, નિરાંત નગર સહિતનો રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી પાણી પાણી થઇ ગયો હતો. મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી, અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે GIDC વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળ બમ્બાકારની સ્થિતિ સર્જાય હતી. પાણી ભરાવાના કારણે GIDC વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો. જેથી અનેક વાહનચાલકો સહીત રાહદારીઓએ અટવાયા હતા. તો બીજી તરફ, આમલાખાડીના વહેણમાં 4 અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રની સ્થિતિ પર સતત નજર છે. સાવચેતી સલામતીના ભાગરૂપે જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ સહિતની કામગીરી માટે વિશેષ ટીમો કાર્યરત હોવાનું જણાવ્યું હતું. વધુમાં દરેક તાલુકાના લાયઝનીંગ ઓફિસર સતત સંપર્કમાં હોવાથી સ્થિતિ કંટ્રોલમાં હોવાનું પણ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.