તુલસીધામ પાસેથી યુવકના અપહરણનો મામલો
યુવતીને ભગાડી જવાની બાબતમાં થયું હતું અપહરણ
પોલીસે દાહોદથી અપહ્યત યુવકને કરાવ્યો મુક્ત
દાહોદથી બે આરોપીઓની કરી ધરપકડ
પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિના અપહરણની ઘટનામાં બે અપહરણકારોને દાહોદથી દબોચી લીધા હતા.
ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું.આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.અને પોલીસે શહેરનાCCTV કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ કરતા સફેદ કલરની બોલેરો ગાડી નંબર -GJ-20-CA-6568 હોવાનું જાણવા મળ્યું હતું.
બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઇ ભુરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા દ્વારા જનાર્દન રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઇ ગયા હતા.જે અંગેની બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા.તેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને સરવીન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ 5 લાખ 10 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.