-
દાંડિયા બજાર વિસ્તારમાં દશાશ્વમેઘ ઘાટ પર શાંતિવન સ્મશાન ગૃહ
-
શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 જ ચિતા હોવાથી લોકોને હાલાકી
-
સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા લોકોની કતાર
-
સ્મશાનમાં ચિતાઓમાં વધારો કરવામાં આવે તેવી સ્વજનોની માંગ
-
સરકારમાંથી ગ્રાન્ટ આવતા જ કામગીરી શરૂ કરાશે : પાલિકા પ્રમુખ
ભરૂચ શહેર દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ઉપર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે માત્ર 3 જ ચિતા હોવાથી સતત બીજા દિવસે પણ અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનો સહિતના લોકોને રાહ જોવા સાથે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચમાં હવે સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે કતારમાં ઉભા રહેવું પડે તેવી નોબત આવી છે. દશાશ્વમેઘ ઘાટ પર આવેલા શાંતિવન સ્મશાન ગૃહમાં 3 જ ચિતા છે. પ્રમાણિક દ્રષ્ટિએ આ ઘાટ મહત્વનો હોવાથી ભરૂચ શહેરના જ નહીં, પરંતુ આસપાસના ગામના લોકો પણ અહીં અંતિમ સંસ્કાર માટે સ્વજનોના દેહને લઈને લાવતા હોવાથી અહીં સ્થિતિ એવી બને છે કે, 3 ચિતા સળગતી હોય, ત્યારે લઈને આવેલા અન્ય પાર્થિવ દેહના સ્વજનોને રાહ જોવી પડે છે.
મૃતકોના સ્વજનોને કતારમાં ઉભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ભરૂચના સ્મશાન ગૃહ ખાતે થવા પામ્યું છે. ગતરોજ પણ 9 જેટલા પાર્થિવ દેહ એક સાથે આવી જતા પરિવારજનોએ વધુ સમય માટે રાહ જોવી પડી હતી, ત્યારે આજે બીજા દિવસે પણ 7 જેટલા પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે સ્વજનોએ કતાર લગાવી હતી.
આમ તો, ગુજરાતમાં વિકાસની ગાથાઓ જોર સોરથી ચાલી રહી છે. પરંતુ વાસ્તવિક સ્વરૂપમાં તેનાથી ઊલટું જોવા મળે છે. ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલા દશાશ્વમેઘ ઘાટ ખાતે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે.
દશાશ્વમેઘ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી હોવાની પણ માન્યતા રહેલી છે. પરંતુ આ સ્મશાન ગૃહમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે. શાંતિવન સ્મશાન ગૃહમાં માત્ર 3 જ ચિતાઓ છે. પરંતુ એક સાથે પાર્થિવ દેહો આવી જવાના કારણે ઘણા સ્વજનોએ પાર્થિવદેહ સાથે કલાકો સુધી રાહ જોઈ બેસી રહેવું પડે છે. એક ચિંતા પૂર્ણ થયા બાદ સાફ-સફાઈ કરી બીજા પાર્થિવ દેહને વિધિસર અંતિમ સંસ્કાર કરવા પડે છે.
આ પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્વજનોએ રોષ સાથે જણાવ્યું હતું કે, વિકસિત ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પરના સ્મશાન ગૃહમાં માત્ર 3 જ ચિતા હોવાના કારણે અવારનવાર આવી તકલીફોનો સામનો કરવો પડે છે. જેથી વહેલી તકે આ સ્મશાન ગૃહને વિકસિત કરવામાં આવે અને ચિતાઓમાં વધારો કરવામાં આવે તેવી પણ સ્વજનોએ માંગ કરી છે.
ભરૂચ શહેર દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ઉપર શાંતિવન સ્મશાન ગૃહના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ચિતાઓ માટેની જગ્યાઓની માપણી કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી તે કામ શરૂ કરવામાં આવ્યું નથી. વધુમાં તેઓએ જણાવ્યુ કે, સ્મશાન ગૃહ આવતા સ્વજનોને ગેસ ફરનેસમાં પાર્થિવ દેહનો અંતિમ સંસ્કાર કરવા માટે પણ જણાવવામાં આવે છે.
પરંતુ સ્વજનો દ્વારા લાકડાઓમાં જ મૃતદેહનો અગ્નિસંસ્કાર થાય તે બાબતે આગ્રહ રાખવામાં આવે છે. જેના લીધે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદીના કાંઠે કોરોના કલ દરમ્યાન કોવિડ સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ચિતાઓ પડેલી છે, અને આ ચિતાઓ હવે બિનઉપયોગી છે. જો તે ચિતાઓને લાવી શાંતિવન સ્મશાન ગૃહમાં મુકવામાં આવે તો અહી ચિતાઓની ઘટતી સમસ્યા હલ થઈ શકે તેમ છે.
આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યુ હતું કે, ભરૂચ શહેર દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ઉપર આવેલ શાંતિવન સ્મશાન ગૃહ ખાતે ચિતાઓની સર્જાયેલી સમસ્યા અને મૃતકોના સ્વજનોને પડતી હાલાકીનો પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો છે.
હાલ પાલિકા દ્વારા સ્મશાન ગૃહના DPR અને ડિઝાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ DPR અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરીને વહેલામાં વહેલી તકે સરકારમાં દરખાસ્ત મુકી ગ્રાન્ટ આવતાની સાથે જ શાંતિવન સ્મશાન ગૃહ ખાતે કામગીરી શરૂ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.