New Update
પ્રકાશના પર્વમાં આજે ભાઈબીજની ઉજવણી
ભાઈએ બહેનના ઘરે ભોજન આરોગ્યુ
ભાઈના લાંબા આયુષ્ય માટે કરી કામના
યમુના મૈયા અને યમરાજ સાથે જોડાયેલી છે કથા
ભાઈબીજના પર્વની ઉત્સાહભેર ઉજવણી
ભરૂચ અંકલેશ્વરમાં આજે ભાઈ બીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.
પ્રકાશના પર્વ દિવાળી દરમ્યાન અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ભાઈબીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર ભાઈબીજની શરૂઆત યમુના મૈયાએ કરી હતી. દંતકથા અનુસાર, યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો, પરંતુ યમરાજ તેની બહેન યમુનાને મળી શક્યા નહીં. યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા. પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા યમુના પાસે પહોંચી ગયા તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી. યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે તેના ભાઈને આવકારવા ઘણી વાનગીઓ તૈયાર કરી.
જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેના માથા પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી. તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમની પાસે ભેટ તરીકે વરદાન માંગવાનું કહ્યું.તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે તેમને મળવા આવશો. આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે, તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે. યમુનાની વાત સાંભળીને યમરાજ કહ્યુ તથાસ્તું. ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિએ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે.ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભાઈ બીજના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.