-
સાંસદ મનસુખ વસાવાએ કર્યું રિયાલિટી ચેક
-
ગ્રામ્ય વિસ્તારના માર્ગની કામગીરીનું કર્યું નિરીક્ષણ
-
હલકી ગુણવત્તા યુક્ત કામગીરીથી સાંસદ રોષે ભરાયા
-
રસ્તાના કામમાં પ્રથમ લેયરમાં જ જોવા મળી ગોબાચારી
-
સાંસદે કોન્ટ્રાકટર સહિતનાને કામગીરી સુધારવા આપી સૂચના
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા રસ્તાની કામગીરીનું સાંસદ મનસુખ વસાવા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં હલકી ગુણવત્તા યુક્ત કામગીરી કરવામાં આવી રહી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વલીગામથી કોલીયાપાડા, વણખુટાપાડા તેમજ ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગની કામગીરી ચાલી રહી છે.જે માર્ગનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, તેઓએ આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી અને તેઓએ જણાવ્યું હતું કે રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી,અને રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના રહેલી છે, સાંસદ મનસુખ વસાવા દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયરનાઓને સ્થળ પર બોલાવી કેટલાક સૂચનો કર્યા હતા.
ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે,જેમાં કામગીરી ગુણવત્તા યુક્ત ન હોવાના આક્ષેપ સાંસદે કર્યા હતા,જ્યારે સાંસદે ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરતા તેઓએ પણ કામનું નિરીક્ષણ કર્યું હતું,અને ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે આ માર્ગના કામમાં જે પણ ખામી હશે તે સુધારી લેવામાં આવશે.
ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગની કામગીરીમાં ગોબાચારીની ફરિયાદ બાદ રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરને સાંસદે સ્થળ પર બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી.જોકે કોન્ટ્રાકટર ધર્મેશ કામગીરી અંગે કોઈ ઠોસ પ્રત્યુતર આપી શક્યા નહોતા.