ભાવનગર: ત્રણ સંતાનોની હત્યા કરનાર કોન્સ્ટેબલ પિતાને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી
સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
ભાવનગર શહેરમાં સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
ભાવનગર શહેરની વિદ્યાનગર પોલીસલાઈનના રહેતો અને ભાવનગર એસપી કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુખદેવ નાજાભાઈ શિયાળ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. ત્રણ બાળક પણ પોતાના ન હોવાનું કહી ઝઘડા કરતો હતો. સાડાત્રણ વર્ષ પૂર્વે આરોપીએ પોતાના ઘરમાં જ ત્રણ બાળકને ગળાના ભાગે ધારિયાના ઘા મારી હત્યા નીપજાવી હતી. આ મામલે તેનાં પત્ની જિજ્ઞાબેન શિયાળ દ્વારા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેનો કેસ નામદાર સેશન્સ જજ પીરઝાદાની કોર્ટમાં ચાલી જતાં તપાસ દરમિયાન આરોપીએ પત્ની સામે ચારિત્ર્ય અંગેની શંકા રાખી બાળકો પોતાનાં ન હોવાનું જણાવ્યું હતું, જેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા, જેમાં ત્રણેય સંતાનો પોતાના જ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ ઉપરાંત 19 મૌખિક પુરાવા અને 70 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. એફએસએલ, ડીએનએ તેમજ ટેક્નિકલ પુરાવાઓ તથા નામદાર હાઇકોર્ટના જજમેન્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દર્શાવવા સાથે જિલ્લા સરકારી વકીલ મનોજ.આર.જોશીની દલીલો અને આરોપીને વધુમાં વધુ સજા કરવાની માગણી કરાઈ હતી, આ બનાવ અંગે ડિસ્ટ્રિકટ જજ એલ.એસ. પીરજાદાએ આરોપી સુખદેવ શિયાળને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી જીવે ત્યાં સુધી જેલની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો