શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું
શ્રી હનુમાનજીના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
હનુમાનજી દાદાને ઓર્કિડ-શેવંતીના ફુલોનો દિવ્ય શણગાર
સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું
ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાના સિંહાસનને દિવ્ય શણગાર સહિત 200 કિલો કચરિયુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વિશેષ અવસર અને તિથીને ધ્યાનમાં રાખી હનુમાનજી દાદાના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવે છે, ત્યારે આજરોજ માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાને રીયલ ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ તેમજ વૃન્દાવનમાં તૈયાર કરાયેલા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ દાદાને 200 કિલો તલની સાનીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ભવ્ય રીતે શુસોભિત કરવામાં આવતા ભકતોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છે, ત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. જોકે, માગસર સુદ પૂનમ નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.