ચાકલીયા પો.સ્ટે.ના ASI પોલીસકર્મી પર હુમલો
50 લોકોના ટોળાએ પોલીસકર્મીને માર માર્યો
ફોર વ્હીલર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો
અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું
ઈજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ
દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
દાહોદના ચાકલીયામાં ફોરવ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પંચનામું કરીને વાહનો હટાવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેથાપુર CHC લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી.આ દરમિયાન, મૃતકના પરિવારજનો અને અન્ય લોકો ઉશ્કેરાયા હતા. તેઓએ મૃતદેહનો સ્થળ પર જ નિકાલ કરવાની માંગ કરી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી.
બોલાચાલી ઉગ્ર બનતા લગભગ 50 લોકોના ટોળાએ ASI સુભાષ નિનામા પર લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ASIને શરીર અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય પોલીસ કર્મચારીઓ સાથે પણ ગાળાગાળી કરવામાં આવી હતી.
હુમલાની જાણ થતાં ચાકલીયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ચાકલીયા પોલીસે આશરે 50 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને 18 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને ઝાલોદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 24 કલાકના રિમાન્ડ પર સોંપ્યા હતા. હાલ પોલીસની ટીમ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને કાર્યવાહી કરી રહી છે.