ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક વૈશ્વિક કક્ષાનું 'આંજણા ધામ’નું નિર્માણ કરવામાં આવનાર છે,
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ'ના નિર્માણ માટે ચૌધરી સમાજના દાતાઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 200 કરોડથી વધુ દાન જાહેર થયું હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે.
વિશ્વના 'આંજણા’ (ચૌધરી-પટેલ) સમાજના સર્વાંગી વિકાસના કેન્દ્રબિંદુ એવા ‘આંજણા ધામ’નો આગામી તા. 5મી જાન્યુઆરી 2025 રવિવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે શિકારપૂરા આશ્રમ રાજસ્થાનના સંરક્ષક શ્રી શ્રી 1008 મહંત શ્રી દયારામજી મહારાજ આશીર્વચન આપશે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને દાતા શંકર ચૌધરી ઉપસ્થિત રહેશે. આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ મણીલાલ ચૌધરી અને મહામંત્રી અમિત ચૌધરીએ જણાવ્યુ હતું કે, ગાંધીનગરના જમિયતપુરા ખાતે સંસ્કાર, શિક્ષણ અને સેવા સંકલ્પ સાથે 22 હજારથી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ' માટે ચૌધરી સમાજના દાતાશ્રીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 200 કરોડથી વધુનું માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું છે.
સમાજના દાતાશ્રીઓ દ્વારા આ ભગીરથ કાર્ય માટે અવિરત દાન આવી રહ્યું છે. દાતાશ્રીઓ અને સમાજના સહકારથી ગાંધીનગર ખાતે વિશ્વના આંજણા સમાજની પ્રગતિ સમાન અંદાજે રૂ. 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક બહુહેતુક કેન્દ્ર તૈયાર કરવાનો સંકલ્પ નક્કી કર્યો છે, જેનો આગામી રવિવારે શિલાન્યાસ કરીને આ સંકલ્પને પરિપૂર્ણ કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરાશે. જે સમાજ માટે ગૌરવ સમાન છે. આ સંસ્થામાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ-વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આંજણા ધામની વિશેષતાઓ અંગે પ્રમુખ અને મહામંત્રીએ વિગતો આપતાં જણાવ્યુ હતું કે, શેરથા ટોલ નાકા, જમિયતપુરા, ગાંધીનગર ખાતે નિર્માણ પામનારા સૂચિત બહુહેતુક આંજણા ધામમાં કુલ 13 માળ હશે.
આંજણા ધામ ભવનનું કુલ બાંધકામ 4.5 લાખ ચો. ફૂટ વિસ્તારમાં થશે. અંદાજે 25 હજાર ચો. ફૂટની જગ્યા ધરાવતી 3 લાઈબ્રેરી, 650 સ્ટુડન્ટ એક સાથે જમી શકે તેવું અદ્યતન ડાઈનીંગ હોલ તથા તે મુજબનું કીચન, 200 સ્ટુડન્ટવાળા 4 ક્લાસરૂમ અને 60 સ્ટુડન્ટવાળા 6 ક્લાસરૂમ, 250 સ્ટુડન્ટની કેપેસીટીવાળી કોમ્પ્યુટર લેબ, 2,300 સ્ટુડન્ટ એક સાથે નિવાસ કરી શકે તેવી આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત કુલ 12 લિફ્ટ ધરાવતા ભવનના 12મા માળે ખેલકૂદ માટે ઈનડોર ગેમ તથા 10 હજાર ચો. ફૂટના 2 મલ્ટિપરપઝ હોલ, રિસેપ્શન,બોર્ડ રૂમ, કોન્ફરન્સ રૂમ, અમ્ફી થિયેટર તેમજ સોલાર રૂફ ટોપનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વ આંજણા ધામના નિર્માણ માટે દાનની સરાવણી વહેવાવનારમાં મણીલાલ કરશનભાઈ ચૌધરી (દગાવાડિયા), શંકરભાઈ ચૌધરી (શંકુઝ વોટરપાર્ક), શેઠ હરીભાઇ વેલજીભાઈ ચૌધરી (ચરાડા), રમણભાઇ ચૌધરી (સોલૈયા, હાલ કેનેડા-યુ.એસ.એ.), કનુભાઇ ડાહ્યાભાઈ ચૌધરી (દગાવાડિયા), બાબુભાઈ મણીલાલ ચૌધરી (દગાવાડિયા), રમેશભાઈ ભીમજીભાઈ ચૌધરી (સુઈ ગામ), મૂળજીભાઇ ચૌધરી (બાલવા, હાલ USA), નરસિંહભાઇ દેસાઇ (ભદ્રેસર, હાલ USA), આર.ડી. ચૌધરી (ઝાલોર,રાજસ્થાન) ઉપરાંત સમાજના 30થી વધુ અન્ય દાતાઓ છે. જેઓના વિશિષ્ટ માર્ગદર્શન સાથે આ ભવ્ય આયોજન થઇ રહ્યું છે. સમાજ-રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસના ઉમદા હેતુથી જમિયતપુરા-ગાંધીનગરમાં વૈશ્વિક કક્ષાના 'આંજણા ધામ'ના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમજ યુ.એસ.એ./કેનેડા સહિત વિવિધ દેશોમાંથી પણ આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ, આંજણા ધામના ટ્રસ્ટીઓ, આગેવાન ભાઈ-બહેનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થશે.