ગાંધીનગર : ખેતીના પાકને બચાવવા સરકાર આવી આગળ; નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતો માટે કરી જાહેરાત
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો, ઊભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે: ખેડૂતો.
રાજ્યમાં ક્યાંક વરસાદ થયો પરંતુ ક્યાંક વરસાદ ખેંચાયો છે ત્યારે વરસાદ ખેંચતા ખેડૂતો પારાવાર મુશ્કેલી સામનો કરી રહ્યા છે. અનેક જગ્યાએ વરસાદ ખેંચતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. ત્યારે સરકાર પણ ખેડૂતોની વ્યથા સમજી પાણી છોડવા અંગે મોટો નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ ઓછો નોંધાયો છે, જ્યારે 5 ઓગસ્ટના રોજ તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક ઇંચ પણ વરસાદ નોંધાયો નથી. ત્યારે મધ્ય ગુજરાતમાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન જાય તેવી શક્યતા સેવાઇ રહી હતી. આ દરમિયાન જ આ વિભાગની અરજીને ધ્યાનમાં લઇને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ડાંગરના પાકને બચાવવા માટે મધ્ય ગુજરાતમાં 6,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે જેને કારણે અહીંના પાકને જીવનદાન મળી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ ડેમમાં 30થી 35 ટકા જેટલું પાણી અત્યારે હાજર છે. જ્યારે આ પાણીમાંથી પીવાના પાણીનો સ્ટોક અલગ કરીને બાકી વધેલા પાણીનો ઉપયોગ ખેતી અને અન્ય કામકાજમાં કરવામાં આવશે. જો આગામી દિવસોમાં રાજ્યમાં આછો વરસાદ નોંધાય તો રાજ્યમાં પાણીની પરિસ્થિતિ ઉદભવી શકે છે વરસાદની ઘટ થતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, છેલ્લા છ થી સાત વર્ષમાં પ્રથમ વખત પાણીની અછત સામે આવી રહી છે. જ્યારે રાજ્યમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને નર્મદા તથા અન્ય ડેમમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત હોવાના કારણે પીવાના પાણીની જરૂરિયાત પહેલા રિલીઝ કરવામાં આવશે અને ત્યારબાદ ખેતી અને અન્ય ઉપયોગ માટે પાણી આપવામાં આવશે.