![ગાંધીનગર: ડ્રગ્સની માહિતી આપનારને મળશે ઇનામ; જુઓ શું જાહેરાત કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/1ffba22b63e2f53ec8f15e5513817febf65f0ad735e857b36a9c7f9990b66ea2.jpg)
ગુજરાતમાં છેલ્લા બે ત્રણ મહિનામાં ઝડપાયેલા નશીલા પદાર્થના જથ્થાને કારણે હવે ગુજરાતની છાપ પણ પંજાબ રાજ્ય જેવી થતી જાય છે. બહારના રાજ્યો હવે 'ઉડતા ગુજરાત'ના ઉલ્લેખથી ગુજરાતને બદનામ કરે છે. હકીકત એ છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કે ઈરાનના રસ્તે ગુજરાતના સમુદ્ર વિસ્તારોમાંથી ઘૂસાડતા ડ્રગ્સના પરિણામે ગુજરાતની છબી ખરડાઈ છે. પણ, આ છબીને ધૂંધળી થતી અટકાવવા રાજ્ય સરકારે એક નવી પોલિસી બનાવી છે. પોલીસી અંતર્ગત કેફી પદાર્થની માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવી પોલિસી અંગે માહિતી આપતા કહ્યું કે, કેફી અને નશાકારક પદાર્થના વેપાર પર લગામ કસવા સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યના કોઈ પણ ખૂણે-ખાંચરે કોઈ પણ વ્યક્તિ નશાકારક પદાર્થ સેવન કરતો કે વેચતો હોય તેની બાતમી આપનારને પુરસ્કાર આપવમાં આવશે. જેમાં બાતમીદાર અને પોલીસ કર્મીઓ માટે ઇનામ આપવાનું આયોજન વિચાર્યું છે. આ પોલીસીમાં બાતમીદારની માહિતી બાદ કાર્યવાહી થવાના કિસ્સામાં ઇનામ આપવામાં આવશે. ગૃહમંત્રીએ ઉમેર્યું કે, ATS તરફથી સૂચના મળ્યા બાદ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી નવી પોલિસી લાવવામાં આવી છે. જેમાં જપ્ત કરેલ મુદ્દામાલના 20 ટકા સુધી રિવોર્ડ આપવામાં આવશે.