/connect-gujarat/media/post_banners/aecc29e23a47f3e9af50a0047809f4d3107f087cfe871d5482e932c0303f4645.jpg)
ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સરદાર સરોવર ડેમના બાંધકામ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન લઇને ભારે હોબાળો મચ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલની કલ્પના હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સરદાર પટેલનું અવમૂલ્ય કરે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહમાં અપાયેલા એક નિવેદન બાદ કોંગ્રેસના આગેવાનો અકળાયા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલની કલ્પના હતી. અને કોંગ્રેસ સરદાર પટેલનું અવમૂલ્ય કરે છે. એટલું જ નહીં, નર્મદા યોજના માટે જવાહરલાલ નહેરુએ મંજૂરી ન જ આપી તે ન જ આપી. તેમને ખોટી ક્રેડિટ આપવાનો પ્રયાસ ન કરશો. આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદાના દરવાજાને મંજૂરી આપી અને યોજના સાકાર થઈ છે, એમ કહેતા જ વિધાનસભામાં ભારે હંગામો મચ્યો હતો. તો બીજી તરફ વાતાવરણ તંગ બનતા ગૃહમાં સુરક્ષા કર્મચારીઓ નીતિન પટેલના રક્ષણ માટે આવ્યા હતા, ત્યારે નીતિન પટેલે કહ્યું હતું કે, મને તમારા રક્ષણની જરૂર નથી, હું કુટી લઉં તેમ છું.
ગાંધીનગર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ જણાવ્યુ હતું કે, સરદાર પટેલ પણ 25 વર્ષ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. અમે સરદાર અને નહેરુ બધાને શ્રેય આપીશું. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વેલમાં કોંગ્રેસના ધારાસભ્યો ધસી આવ્યા હતા. ગૃહમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેને લઈને વિધાનસભાની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરાય હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી, ત્યારે સતત અન્યાય થતો હતો. કોંગ્રેસ શહીદોના ઇતિહાસને ભુંસવાનું કામ કરે છે. માત્ર નહેરુ પરિવાર દેશ માટે કામ કર્યું તેવી માનસિકતા કોંગ્રેસની છે.