વેરાવળમાં મગફળીના પાકમાં નુકસાન
કાળી ફૂગ અને સુકારાના રોગથી નુકસાન
પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ચિંતા
મગફળીમાં પહેલા લશ્કરી ઈયળનો હતો પ્રકોપ
પાક પર દવાના છંટકાવ બાદ પણ પરિણામ શૂન્ય
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના પાકમાં કાળી ફૂગ અને સુકારાના રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસુ ખેંચાતા ખેડૂતો શરૂઆતમાં પિયત અંગે ચિંતિત બન્યા હતા. જોકે બાદમાં મેઘરાજાએ હેત વરસાવ્યો અને ખેડૂતોને રાહત મળી હતી.પરંતુ વરસાદ સાથે જ નવા રોગચાળાનો ઉપદ્રવ શરૂ થયો છે.વેરાવળ તાલુકાના ગામોમાં ઉભા મગફળીના પાકમાં પહેલા લશ્કરી ઈયળનો ભારે પ્રકોપ થયો હતો,અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતમાં પાક ખૂબ સારો દેખાતો હતો,પણ ઈયળ અને હવે ફૂગના કારણે પાક નિષ્ફળ જવાની ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.ઘણા ખેડૂતો પાક બચાવવા માટે સતત દવા છાંટી રહ્યા છે,જ્યારે અમુક ખેડૂતો નિષ્ફળ થયેલા મગફળીના પાકને ટ્રેક્ટર વડે ઉપાડી નાખવા મજબૂર થયા છે.
હાલમાં ખેડૂતો પર બિયારણ,દવા અને મજૂરીના ભારે ખર્ચાનો ભાર છે.મગફળી પાક નષ્ટ થવાની ભીતિ તેમને વધુ ચિંતામાં મૂકી રહી છે.લુંભા ગામના ખેડૂત દિલીપભાઈ કહે છે કે, શરૂઆતમાં જંગલી ભૂંડે પાકને નુકસાન કર્યું,ત્યારબાદ મેઘરાજાએ હેત વરસાવ્યો,પરંતુ સાથે જ લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધ્યો હતો.
ખેડૂતો માંડ માંડ ઉભા થયા ત્યાં કાળી ફૂગ તથા સુકારાનો રોગ ફેલાતા ફરી પાક બગડવાની ભીતિ છે.ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પશુ માટે ઘાસ પણ બાકી ન રહે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે,ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.