ગીર સોમનાથ જીલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું
ગીર સોમનાથ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ કર્યુ છે. જિલ્લાના છએય તાલુકામાં સવારે ચાર કલાકમાં સરેરાશ 1થી 3.5 ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 3.5 ઈંચ તો સૌથી ઓછો તાલાલામાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સુત્રાપાડા પંથકની સરસ્વતી નદીમાં પૂર આવતા સુપ્રસિદ્ધ પ્રાંચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી ખેડુતોની મુંઝવણ વધી ગઈ છે. જ્યારે સુત્રાપાડાના ધામળેજ ગામમાં સંપ જેવો પાણીનો ટાંકો જમીનમાં બેસી ગયો છે. ગીર જંગલમાં ઘણા અને સુત્રાપાડા પંથકમાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદના કારણે યાત્રાધામ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપુર આવકના પગલે પૂર આવ્યુ હતુ. જેના પગલે આજે સવારે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર નદીના પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયુ હતુ. આમ નદીમાં આવેલા નવા નીરમાં માધવરાયજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ સમયે સરસ્વતી નદીમાં પૂર આવે ત્યારે માધવરાયજીનું મંદિરના જળમગ્નના દ્રશ્યો જોવા મળે છે. તેવી જ રીતે ચાલુ વર્ષે સિઝનમાં પ્રથમવાર મંદિર જળમગ્ન થયુ છે.