શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ગીતા જયંતિની ઉજવણી કરાય
ગીતાજીના ગ્રંથ અને કૃષ્ણ ચરણ પાદુકાનું પૂજન પણ કરાયું
શંખ અને દુંદુભિ નાદ સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન
સોમનાથમાં ગીતા જયંતિએ ધર્મભક્તિનું વાતાવરણ રચાયું
મોટી સંખ્યામાં ટ્રસ્ટ પરિવાર તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા
ગીર સોમનાથ જિલ્લાના શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થમાં ગીતાજીના ગ્રંથ અને કૃષ્ણ ચરણ પાદુકાનું પૂજન, શંખ અને દુંદુભિ નાદ સહિત શોભાયાત્રાના આયોજન સાથે ગીતા જયંતિ નિમિત્તે ધર્મભક્તિનું વાતાવરણ રચાયું હતું.
શ્રી કૃષ્ણની ગૌલોકધામ ભૂમિ એટલે પ્રભાસ, જ્યાં ભગવાને પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું. પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન શ્રી કૃષ્ણએ હિરણ્યા નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ સ્થાનને દેહોત્સર્ગ તીર્થ અથવા ગૌલોકધામ નામથી ઓળખવામાં આવે છે. અહી શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના 18 અધ્યાયોને સ્થંભ પર અંકિત કરી ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે ગીતા જયંતીના પાવન પર્વ પર શ્રી ગીતા મંદિર ખાતે ભક્તિપૂર્વક ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા.
સૌ પ્રથમ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રીગીતાજી ગ્રંથની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગીતાજીના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ વિશેષ અવસરે કુરુક્ષેત્ર ભૂમિ પર જે રીતે દુંદુભિ નાદ અને શંખનાદ થઈ રહ્યા હતા, તેવું જ દ્રશ્ય પ્રભાસ ક્ષેત્રમાં રચવામાં આવ્યું હતું, જ્યાં ચારેય તરફ શંખનાદ અને નગાળાનો નાદ થઈ રહ્યો હતો.
શ્રી સોમનાથ ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના અઘ્યેતાઓ જ શ્રી કૃષ્ણ અને અર્જુન બન્યા હતા. યુદ્ધ ભૂમિની મધ્યમાં પોતાના લક્ષ્ય માટે વ્યાકુળ થયેલ અર્જુનને જીવન, નિષ્કામ કર્મ, ફળ પ્રત્યેનો ઔદાર્ય જન્મ મરણનો ક્રમ આ તમામ વિષય પર સર્વોચ્ચ જ્ઞાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું, તેવું જ ભાવ ચિત્ર પ્રભાસમાં ઊભું કરી શ્રી ગીતાજીના 18 અધ્યાયના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી ગીતાજીના પઠનમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પુનિત પ્રસંગે શ્રી પ્રભાસતીર્થમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું મહાનુભાવો અને ભક્તો દ્વારા વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું.