-
ગુજરાત રાજ્યના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો
-
રાજ્ય સરકારના નિર્ણય સામે મનીષ દોશીએ વિરોધ નોંધાવ્યો
-
ભાજપ સરકારે બહુમતીના જોરે ભથ્થામાં વધારો કર્યો : પ્રવક્તા
-
ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ : પ્રવક્તા
-
મંત્રીઓના ભથ્થામાં થયેલો વધારો ગુજરાત માટે ચિંતાનો વિષય
ગુજરાત સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થા અધિનિયમમાં સુધારા કરીને ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા (સુધાર) નિયમો-2025, લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે નવા નિયમોને ગેઝેટમાં પ્રસિદ્ધિ આપી છે. તો બીજી તરફ, રાજ્યમાં મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્ય સરકારના મંત્રીઓના દૈનિક મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓને હોટલ અથવા લોજ સિવાય અન્ય જગ્યાઓ રોકાણ અને ખાનપાન સહિતના ભથ્થામાં 3 કેટેગરી વાઈઝ વધારો કરાયો છે. મંત્રીઓના મુસાફરીના ભથ્થામાં કરાયેલો વધારો ગુજરાત મંત્રી મુસાફરી ભથ્થા સુધારા નિયમો 2025 હેઠળ લાગુ પડશે. તો બીજી તરફ, રાજ્યના મંત્રીઓના ભથ્થાના વધારાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 'ગુજરાતની ભાજપ સરકારે બહુમતીના જોરે મંત્રીના ભથ્થામાં વધારો કર્યો છે. સરકારની આ જાહેરાત ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. એક તરફ, ગુજરાતમાં 89 હજારના દેવા સાથે બાળક જન્મે છે. તો બીજી તરફ, મંત્રીઓને સર્કીટ હાઉસ અને બીજી સુવિધાઓ નજીવા દરે મળે છે. સરકારના આંકડા મુજબ, ગુજરાતના 3.54 કરોડ ગુજરાતીઓ સસ્તા અનાજ પર આધારીત છે. રાજ્યમાં 78 લાખથી વધુ પરિવાર ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. એક તરફ સામાન્ય જનતાની આવક ઘટતી જાય છે. તો બીજી તરફ, ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ હોવાના કારણે મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો હોવાનો ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો.