Connect Gujarat
ગુજરાત

નવસારી : છેલ્લા 2 દિવસમાં ખેરગામના 12 લોકોને રખડતાં શ્વાનોએ બચકાં ભર્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ…

રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

X

ખેરગામ ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો

રખડતા શ્વાનનો આતંક સામે આવતા સ્થાનિકોમાં ભય

શ્વાને બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભર્યા

ઇજાગ્રસ્તોની ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર

રખડતાં શ્વાનને પકડવા ગ્રામ પંચાયત દ્વારા કવાયત

નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના ખેરગામ ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના મુખ્ય મથક એવા ખેરગામ ગામમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. ખેરગામના બજાર વિસ્તારમાં 2 દિવસમાં રખડતા શ્વાને 7થી 8 લોકોને બચકા ભરતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખેરગામના પ્રવેશ દ્વાર પાસે પોસ્ટ ઓફીસની સામે ચાની લારી ચલાવતા 70 વર્ષીય ગોવિંદભાઈ ચા વાલા બજારમાં દવા લેવા ગયા, અને પાછળથી આવેલા રખડતા શ્વાને તેમના પગમાં પાછળથી કરડ્યું હતું, જેને છોડાવતા ગોવિંદભાઈને ઘણી મુશ્કેલી પડી હતી, જ્યારે બજારમાં મસ્જીદ પાસે ચાની લારી ચલાવતા 73 વર્ષીય હરીશભાઈને પણ શ્વાન કરડીને ભાગી ગયો હતો. બન્ને ઇજાગ્રસ્તોએ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

તો બીજી તરફ, ખેરગામમાં 54 વર્ષીય અલ્લારખાંભાઈ, ૩૩ વર્ષીય હીનાબેન, 15 વર્ષીય સોનલ અને 5 વર્ષીય કુંજને પણ રખડતું શ્વાન કરડતા તેમણે પણ ઇન્જેક્શન લેવા પડ્યા છે. જયારે ખેરગામ આસપાસના ગામના લોકોને પણ રખડતા શ્વાને બચકા ભરતા ખેરગામ રેફરલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 12 લોકોને સારવાર લેવી પડી છે. તો આ તરફ, ખેરગામ ગ્રામ પંચાયતને ઘટનાની જાણ થતા રખડતા શ્વાનને પકડી લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. જોકે, હજી સુધી લોકોને બચકા ભરતા શ્વાનને કોઈ પકડી શક્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં હજુ પણ રખડતા શ્વાનને લઇને ભયનો માહોલ ફેલાયો છે.

Next Story