-
કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસતું માવઠું
-
શિયાળુ પાક સહિત ઉનાળુ પાકમાં વ્યાપક થઈ નુકસાનીની અસર
-
કમોસમી વરસાદના કારણે કેશોદ પંથકના ખેડૂતો થયા પાયમાલ
-
તલ, મગ, અડદ સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે સંકટ
-
સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાય તેવી ખેડૂતોની માંગ
જુનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. તલ, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. શિયાળુ પાક તલ, મગ, અડદ સહિત ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાનીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. ખેડૂતો ખેતી કરી રહ્યા હતા, અને અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો.
લાખો રૂપિયા ખર્ચ કરી ખેડૂતો જુદા જુદા પાકનું વાવેતર કરતા હોય છે. જોકે, જુદા જુદા ખેતી પાકમાંથી સારી આવક મળે તેવી ખેડૂતોને આશા રહે છે. પરંતુ જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે જ કમોસમી વરસાદ વરસે એટલે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાય જાય છે. હાલ આવો જ ઘાટ જુનાગઢના ખેડૂતોનો ઘડાતા તેઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર હવે ખેડૂતોના વ્હારે આવી નિષ્ફળ પાકનું સર્વે કરી ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ ઉઠી છે.